ઇસરોએ ચંદ્રયાન-3ને 14 જુલાઇના રોજ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. પાંચ વર્ષ અગાઉ ચંદ્રયાન-2માં ખામી સર્જાતા મિશન મૂનમાં સફળતા મળી ન હતી.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (iSRO) ફરીવાર ચંદ્ર પર પહોંચવાની તૈયારી કરી છે. ઇસરોએ ચંદ્રયાન-3 મિશન શરૂ કર્યુ છે અને 14 જુલાઇના રોજ ફરીવાર ચંદ્ર પર અવકાશ યાન મોકલશે. અગાઉ વર્ષ સપ્ટેમબર 2019માં ભારતે ચંદ્રયાન-2 મોકલ્યુ હતુ જો કે ટેકનિકલ ખામીના કારણે સફળતા મળી ન હતી. ઇસરોએ ગત વખતની નિષ્ફળતાના કારણો શોધીને તેને દૂર કરવાો પ્રયાસ કર્યો છે. હવે સમગ્ર દેશની નજર ચંદ્રયાન-3 ઉપર છે.
ISROના વડાએ ચંદ્રયાન અંગે શું કહ્યું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથે સોમવારે જણાવ્યું હતું કે, અંતરિક્ષ સંસ્થાએ ચંદ્રયાન-3ને નિષ્ફળતા આધારિત અભિગમ સાથે ડિઝાઇન કર્યું છે.
તેમણે ઉમેર્યુ કે “… ટૂંકમાં જેમ તમે જાણા છો કે ચંદ્રયાન-2માં શું સમસ્યા થઇ હતી, જો સરળ રીતે કહેવુ હોય તો પરિમાણની વિવિધતા અથવા વિક્ષેપને નિયંત્રિત કરવાની ક્ષમતા ખૂબ જ મર્યાદિત હતી. તેથી, અમે આ વખતે જે માત્ર તેને વધારે વિસ્તૃત કર્યું છે. કઈ કઈ ખામીઓ સર્જાઈ શકે છે તે શોધ. તેથી, ચંદ્રયાન-2માં સફળતા આધારિત ડિઝાઇનને બદલે, અમે ચંદ્રયાન-3માં નિષ્ફળતા આધારિત ડિઝાઇન કરી રહ્યા છીએ. અમે દરેક બાબત પર ધ્યાન આપ્યું, જે ખામી સર્જાવાની કે ખોટી પડવાની શક્યતા હત, અમે તેનું સમાધાન શોધ્યુ છે…”
ચંદ્રયાન-3 કઇ તારીખે અને ક્યા સમયે લોન્ચ કરાશે
ઇસરો દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે અને 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડ થવાની ધારણા છે.
ચંદ્રયાન-3માં કેટલા એન્જિન છે
ઇસરો દ્વારા નિર્મિત નવા ચંદ્રયાન-3માં કુલ 3 એન્જિન હશે, જેમાંથી લગભગ 80 ટકા મુંબઈમાં બનાવવામાં આવ્યા છે. ચંદ્રયાન 3 માં ઉપયોગમાં લેવાયેલા તમામ એન્જિનના પાર્ટ્સ મુંબઈના ગોદરેજ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રાખવામાં આવ્યા છે. આ સ્પેસ ક્રાફ્ટમાં લાગેલું એન્જિન 90 ટકા સ્વદેશી છે, જે ભારત માટે ગર્વની વાત છે
ચંદ્રયાન-3ની ખાસિયતો, તે ચંદ્રયાન-2થી કેટલું અલગ
ઇસરોનું આ નવું ચંદ્રયાન-3 એ અગાઉના ચંદ્રયાન-2 કરતા વધારે આધુનિક છે.
ચંદ્રયાન-3 અવકાશયાન લોન્ચ વ્હીકલ માર્ક-III દ્વારા લોન્ચ કરવામાં આવશે, જે પ્રોપલ્શન, લેન્ડર અને રોવરનું સંયોજન છે.
ચંદ્રયાન-3 મિશનમાં ચંદ્રની ધરતીકંપ, ચંદ્ર રેગોલિથ, ચંદ્રની સપાટીના પર્યાવરણ અને મૂળ રચનાના થર્મો-ફિઝિકલ ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક સાધનો છે.
લેન્ડિંગમાં સમસ્યા સર્જાય તો ચંદ્રયાન-3 લેન્ડિંગની જગ્યા બદલી શકશે
ઇસરોનું આ વખતનું ચંદ્રયાન વધારે આધુનિક છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે 4 KM X 2.5 KMનો ત્રિજ્યા રાખ્યો છે. ઈસરોના વડાએ કહ્યું, ‘અમે ચંદ્રયાનના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવની નજીકના એક ચોક્કસ પોઇન્ટને ટાર્ગેટ કરીશું. જો કોઈ કારણસર લેન્ડિંગમાં સમસ્યા સર્જાશે તો ચંદ્રયાનને તેની નજીક ગમે ત્યાં લેન્ડ કરી શકાય છે. અમે વૈકલ્પિક સ્થાન પર અવરજવર કરવા માટે વધારે બળતણ અને ક્ષમતા પ્રદાન કરી છે. આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર જરૂર લેન્ડ થશે.